અનલોક થતાં જ બજારો ધમધમી, વેપારીઓમાં આનંદ

સવારે 9થી બપોરના 3 સુધી વેપાર ધંધા ચાલુ રાખવાની છૂટ, રાત્રી કરફ્યૂ યથાવત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-05-2021

3 વાગ્યા બાદ આવશ્યક સેવાઓની દૂકાનો ખૂલ્લી રાખવા પરવાનગી, કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવા તાકિદ

આજથી સવારે 9થી 3 વાગ્યા સુધી દૂકાનો ખૂલ્લી રાખવાની છૂટ આપતા સવારથી જ દૂકાનદારોએ વેપારના શ્રીગણેશ કર્યા હતા અને બજારો ધમધમવા લાગી હતી. આર્થિક રીતે પડી ભાંગેલ વેપારીઓમાં આનંદ છવાયો હતો. લોકો પણ ખરીદી કરવા બજારમાં ઉમટી પડ્યા હતા. પ્રજા ખરીદી કરવા ઉમટતા બજારમાં ભીડ પણ જોવા મળી હતી. સરકારે છૂટછાટ આપી છે પરંતુ, તકેદારી રાખવા પણ તાકિદ કરી છે.

કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલા મિનિ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે.

આ નિર્ણયને પગલે રાજ્યમાં 21મેથી લારી, ગલ્લા અને વેપારીઓને 6 કલાક સુધી વેપાર-ધંધા ચાલુ રાખવાની છૂટ મળી છે. જો કે બપોરે 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વાવઝોડાની પરિસ્થિતિને પગલે તંત્ર કામમાં હોવાથી રાત્રિ કર્ફ્યૂ અને વધારાના નિયંત્રણો 18,19,20 મેના રોજ ત્રણ દિવસ સુધી મિનિ લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન કોવિડ-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ બંધ રહેશે.

આ વેપાર બંધ રહેશે: શૈક્ષણિક સંસ્થા, ટ્યુશન, ક્લાસિસ, થિયેટરો, ઓડીટોરીયમ, અસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા

મનોરંજક સ્થળો, જીમ, સ્વિમિંગ પુલ,

આ વેપાર શરૂ રહેશે: પાનના ગલ્લા, ચાની કિટલી, હેર સલૂન, હાર્ડવેરની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો, રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો, મોબાઇલની દુકાનો, હોલસેલ માર્કેટ, પંચરની દુકાન, ગેરેજ

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો