મોરબીમાં રોડનું કામ અધુરુ છોડી દેતાં પાલિકા કચેરીમાં મહિલાઓનો હલ્લાબોલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-05-2021

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલા જલાલ ચોકના રોડનું કામ અધૂરું છોડી દેવા મામલે સ્થાનિક મહિલાઓએ મોરબી નગરપાલિકા કચેરીએ મોરચો માંડ્યો હતો અને રોડ ખોદી નાખ્યા બાદ કોઈ કામગીરી ન કરાતા ભૂગર્ભ-શૌચાલયના પાણી ઉભરાતા હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડતી હોવાની વ્યથા ઠાલવી હતી.

મોરબીના કાલિકા પ્લોટમાં આવેલ જલાલ ચોકની મહિલાઓનું ટોળું આજે નગરપાલિકા કચેરીએ રજુઆત કરવા ધસી ગયું હતું અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી કે, જલાલ ચોકનો રોડ છેલ્લા બે મહિનાથી ખોદીને જેમની તેમ જ રાખી દેવામાં આવ્યો છે. રોડ ખોદી નાખ્યા બાદ કોઈ કામગીરી ન કરાતા સ્થાનિકોની મુશ્કેલી વધી ગઈ છે. જેમાં રોડના ખોદકામથી ભૂગર્ભના પાઇપ તૂટી ગયા છે. આથી, ભૂગર્ભ ગટર અને શૌચાલયના

ગંદા પાણી ત્યાં ઉભરાઈ છે. જેના કારણે સોસાયટીની નર્કથી પણ બદતર હાલત થઈ જાય છે. વધુમાં જણાવ્યું હતું કે આ મેઈન રોડ હોય એટલે ગંદા પાણીમાં જ લોકોને પસાર થવું પડે છે. ગંદકી ફેલાતા રોગચાળોની ભીતિ સેવાઇ રહી છે. જો કે અન્ય વિસ્તારોમાં રોડ મોડો ખોદ્યો હોવા છતાં ત્યાં રોડની કામગીરી શરૂ થઈ ગઈ છે અને જલાલ ચોકમાં રોડ વહેલા ખોદ્યો હોવા છતાં હજુ રોડની કામગીરી થઈ નથી.

આ મામલે ચીફ ઓફિસર સરૈયાએ જણાવ્યું હતું કે, હોળી પછી મજૂરોનો પ્રશ્ન અને ત્યારબાદ લોકડાઉનને કારણે અને કોન્ટ્રાક્ટ બદલવાના હોવાથી તેમના રોડની કામગીરીમાં વિલંબ થયો છે. હવે ટૂંક સમયમાં રોડની કામગીરી શરૂ કરવાની ખાતરી આપતા હાલના તબક્કે મામલો થાળે પડ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો