ગુજરાતમાં આવેલા તૌકતે વાવાઝોડાએ 4નો ભોગ લીધો, રાહત અને બચાવ કામગીરી ચાલુ

ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાથી ચારના મોત, 145 જેટલા રસ્તાઓને નુકસાન, હજી સાંજ સુધી રહેશે ‘તૌકતે’ની અસર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-05-2021

કેરળ, કર્ણાટક, ગોવા અને મુંબઈમાં વિનાશ વેર્યા બાદ તૌકતે વાવાઝોડું સોમવારે ગુજરાત પર ત્રાટક્યું હતું. તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં 4 લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતમાં ચક્રવાત તૌકતેએ રાજ્યના કેટલાક ભાગોને ત્રાટકીને પશ્ચિમ કાંઠે તબાહી મચાવતા ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. વાવાઝોડાને કારણે રાજ્યમાં ઘણા વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓને નુકસાન થયું છે, જેથી રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થઈ: ભારત હવામાન વિભાગે જણાવ્યું છે કે, દીવ અને ઉના વચ્ચે ત્રાટકેલા અત્યંત ગંભીર ચક્રવાતી તૌકતે વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા મધ્યરાત્રિની આસપાસ સમાપ્ત થઈ ગઈ છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે, તૌકતે અત્યંત તીવ્ર ચક્રવાત તોફાન તરીકે ગુજરાતના દરિયાકાંઠાને ઓળંગી ગયું અને ધીમે-ધીમે નબળું પડી ગયું, જે અમરેલી પાસે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનના રૂપમાં જોવા મળ્યું હતું.

રાજ્યમાં તૌકતે વાવાઝોડાને કારણે નુકસાન: રિપોર્ટ મુજબ ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાને કારણે રાજ્યમાં નુકસાન થયું છે. આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં 452 વીજ થાંભલા ધરાશાયી થયા જેના કારણે 2770 ગામોમાં અંધારપાટ છવાઈ ગયો. આ ઉપરાંત 145 જેટલા રસ્તાઓને નુકસાન થયું છે. એટલું જ નહીં, ભારે પવન સાથે વરસાદ પડતા 337 જેટલા ઝાડ પણ પડ્યા છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ પકંજકુમારના જણાવ્યા અનુસાર આજે સાંજ સુધી વાવાઝોડાની અસર રહેશે. જેથી રાત સુધી તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.

અમિત શાહે અસરગ્રસ્ત રાજ્યોના CM સાથે વાત કરી: તૌકતે વાવાઝોડાની પરિસ્થિતિ અંગે જાણવા અને કેન્દ્ર પાસેથી કોઈ મદદથી જરૂર હોય તે અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડા અસરગ્રસ્ત રાજ્યો-રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલીના સંચાલકો સાથે વાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

સોમવારે ત્રાટક્યું હતું વાવાઝોડું: ગઈકાલે રાતે આઠ વાગ્યાથી તૌકતેનું લેન્ડફોલિંગ શરુ થયું હતું. આ પ્રક્રિયા ચારેક કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન પવનની ગતિ 165-185 કિમી પ્રતિ કલાક સુધીની રહી હતી. વાવાઝોડું જ્યાં લેન્ડ થયું તે વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ પણ પડ્યો હતો. હાલ આ વાવાઝોડું બોટાદ જિલ્લા તરફ આગળ વધી રહી સુરેન્દ્રનગર, વીરમગામ થઈને ઉત્તર ગુજરાત અને છેલ્લે રાજસ્થાન તરફ ફંટાઈ જશે. આ દરમિયાન આ તમામ વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ પડશે.

અમદાવાદમાં પડી રહ્યો છે વરસાદ: વાવાઝોડાની અસરથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે સાંજે થયેલા વરસાદ બાદ આજે સવારથી જ જાણે ભરચોમાસું હોય તેવી રીતે આકાશમાં કાળાડિબાંગ વાદળોની સાથે ભારે પવનની સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આજે સાંજ સુધી વાવાઝોડાંની અસર હેઠળ વરસાદ પડવાની સાથે પવનની ગતિ વધારે રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો