597 ફિડરમાં ફોલ્ટ સર્જાતા વિજળી ખોરવાઈ, 95 વિજપોલ ધરાશાઈ
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-05-2021સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવાજોડાની તીવ્ર અસરને કારણે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ જતાં વરસાદી માહોલમાં વીજતંત્ર દોડતું રહ્યું હતું. આજે એગ્રીકલ્ચરના 552 સહિત કુલ 597 ફિડર ફોલ્ટમાં ગયા હતાં. 203 ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. 95 વીજપોલ ધરાશાયી થયા હતાં.સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સામે દર્દીઓની સુરક્ષા જાળવવા તેમજ દરિયકાંઠા વિસ્તારમાં જાનમાલની સલામતી જાળવવા સહિતના મુદ્દે વહીવટી તંત્રને એલર્ટ રહેવાના આદેશ પછી પણ આજે અનેક વિસ્તારોમાં લોકોએ હાલાકી ભોગવવી પડી હતી. જામનગર, દ્વારકા પોરબંદર, વેરાવળ અને ગિરસોમનાથ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં અંદાજે 597 ફીડર ટ્રીપ થઈ જતાં કલાકો સુધી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જેમાં મુખ્યત્વે ખેતીવાડીના ફિડર ફોલ્ટમાં ગયા હતાં. જેમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ 179 રાજકોટ ગ્રામ્યમાં 67, મોરબીમાં 71, પોરબંદરમાં 48, જૂનાગઢમાં 64, અમરેલીમાં 16, સુરેન્દ્રનગરમાં 54, તથા બોટાદમાં 26 અને ભાવનગરમાં 27 ફિડર ફોલ્ટમાં યા હોવાનું વીજતંત્રના સુત્રોએ જણાવ્યું હતું. જયારે રાજકોટ ગ્રામ્યમાં તોફાની પવનને કારણે 30, સુરેન્દ્રનગરમાં 34 સહિત કુલ 95 વીજપોલ તુટી પડયા હતાં. જયારે ભારે પવનને કારણે સૌથી વધુ અમરેલી જિલ્લાનો 98 ગામોમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી. જયારે રાજકોટ શહેરમાં 167 સહિત સૌરાષ્ટ્રમાં 556 વીજફોલ્ટની ફરિયાદો આવી હતી. રાજકોટ શહેરમાં આજે જુદા જુદા વિસ્તારમાં 16 ફિડરમાં ફોલ્ટ સર્જાતા અનેક વિસ્તારોમાં વીજળી વેરણ થતા લોકોએ હાલાકી ભોગવી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો