વાવાઝોડું વેરાવળથી 670 કિમી દૂર, પણ ગુજરાતમાં તેની અસર શરૂ થઈ ગઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-05-2021

ગુજરાતમાં સંભવિત આવનાર તૌકતે વાવાઝોડાના પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાં હલચલ વધી

એનડીઆરએફની ટીમોને ક્યાં રવાના કરવી, કયા વિસ્તારમાં કામગીરી લગાડવી એ તમામ એક્શન આ કંટ્રોલ રૂમમાંથી લેવાશે

તૌકતે વાવાઝોડું ક્રમશઃ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તે ગુજરાત તરફ પ્રતતિ કલાક 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડું વેરાવળથી 670 કિલીમોટર દૂર અરબી સમુદ્રમાં છે. જે આવતીકાલ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચી જશે. ત્યારે વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) ના પગલે અનેક જિલ્લાઓમાં વહેલી સવારે વરસાદી વાતાવરણ જોવા મળ્યુ છે. તો સાથે જ વાદળોની સાથે ધીમો ધીમો પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે, હજુ બે દિવસ વાતાવરણમાં આવો પલટો રહેશે. કાળઝાળ ગરમી બાદ અચાનક વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

ગાંધીનગરના કન્ટ્રોલ રૂમમાં ગતિવિધિ વધી

સંભવિત વાવાઝોડાને પગલે ભારતીય વાયુસેના પણ સક્રિય બની છે. વિવિધ એરપોર્ટ પરથી ગુજરાતમાં ndrf ના જવાનો અને મશીનરી લાવવામા આવ્યા છે. તો બીજી તરફ, ગુજરાતમાં સંભવિત આવનાર તૌકતે વાવાઝોડાના પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાં હલચલ વધી છે. એસઈઓસીમાં તમામ જિલ્લાઓ સાથે સંપર્ક કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા સ્થાનિક વહીવટી તંત્રને સ્ટેન્ડ ટુના આદેશ સ્થાનિક કક્ષાએ આપવામાં આવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાંથી જિલ્લાની સ્થાનિક જરૂરિયાતો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાવવું પડે, ત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખી પગલાં ભરવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમોને ક્યાં રવાના કરવી, કયા વિસ્તારમાં કામગીરી લગાડવી એ તમામ એક્શન આ કંટ્રોલ રૂમમાંથી લેવાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તૌકતે વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે.

વેરાવળમા હાલ સ્થિતિ સામાન્ય

તો બીજી તરફ, વેરાવળમાં પણ હાલ વાદળછાયું વાતાવરણ છે. વેરાવળના દરિયામાં મોજા પણ હાલ સામાન્ય દિવસોની માફક ઉછળી રહ્યા છે. પવનની ગતિ પણ હાલ સામાન્ય દિવસો જેવી છે. જોકે, જેમ જેમ તૌકતે નજીક આવતુ જશે તેમ તેમ દરિયો પણ તોફાની બનતો જશે અને મોજા કરંટની જેમ ઉંચે ઉછળશે.

ભાવનગરમાં વાવાઝોડાને પગલે વેક્સીનેશન બંધ

ભાવનગરમાં સંભવિત વાવાઝોડાની અસરને પગલે 77 અને 18 મેના રોજ કોરોના વેક્સીન કામગીરી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. વાવાઝોડાની આગાહીને પગલે મનપા દ્વારા બે દિવસ વેક્સીનશન બંધ રખાયું. ભાવનગર મનપા કમિશનર એમ.એ ગાંધીએ આ જાહેરાત કરી છે.

મોરબીમા વીજ લાઈનમાં કડાકા

મોરબી નજીકના ટીંબડી ગામે મોડી રાત્રે વીજપોલ ઉપર ભડાકા થયા હતા. હાલ પવન ફૂંકાતા વીજ લાઇનમાં ભડાકા થતા વાયરો તુટી ગયા હતા. જેને કારણે ગામમાં અંધારપટ છવાયો હતો. ચાલુ વીજ વાયરો રસ્તા ઉપર પડતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. ત્યારે તાત્કાલિક ગામના લોકો દ્વારા આ બનાવની વીજ કંપનીમાં જાણ કરાઇ હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો