સાવધાનઃ કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને દત્તક લેવાના ફેક મેસેજ વાઈરલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-05-2021

કોરોનાકાળમાં સોશિયલ મીડિયા પર ઘણી વખત ખોટી માહિતીને કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે. ખોટા મેસેજથી ઘણા લોકો છેતરાય છે અને પૈસાની છેતરપિંડી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં બાળક/બાળકી દત્તક લેવા અંગેના મેસેજ ફરી રહ્યા છે. આવા મેસેજ દ્વારા ઠગ ટોળકી લોકોને ખોટી રીતે સંડોવી રૂપિયા પડાવી શકે છે. આ સ્થિતિમાં જિલ્લા બાળ સુરક્ષા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આ ફેક મેસેજ છે. જો આવું કોઈ જગ્યાએ થતું હોય તો તેમને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, તમને સોશિયલ મીડિયાના માધ્યમથી દીકરા/દિકરીઓને દત્તક લેવા અંગેના મેસેજ મળે કે જેમાં કોવિડ-19 મહામારીના કારણે અનાથ થયેલા દીકરા/દીકરીને દત્તક લેવા માટે અપીલ કરવામાં આવી હોય તો આવા મેસેજ ખોટા છે. તેને મહેરબાની કરી આગળ શેર ના કરો અને અનાથ બાળકોને સીધા દત્તક લેવા કે આવા બાળકોની જાણકારી છુપાવવી એ કાનુન અપરાધ છે.

આવી સ્થિતિમાં તાત્કાલિક જિલ્લા બાળ સુરક્ષા એકમ/ બાળ કલ્યાણ સમિતિ/ ચાઇલ્ડ લાઇન-1098/ સ્થાનિક પોલીસને જાણ કરો. દત્તક બાળક લેવા ઇચ્છુક માતા-પિતા માટે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015ની માર્ગદર્શિકા મુજબ ઓનલાઇન નોંધણી માટેની વેબસાઇટ http://cara.nic.in/ વધુ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત તમે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક સાધી શકાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો