સુરતમાં 104 વર્ષનાં સુપર દાદી રળિયાત બાએ કોરોનાને મ્હાત આપી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-04-2021

સુરત, તા. 29: પચાસ જણનો બહોળો પરિવાર ધરાવતાં 104 વર્ષનાં સુપરદાદી એટલે રળિયાત બા જેમણે આજ સુધી ચાર પેઢીને એક તાંતણે બાંધી રાખી છે. એવાં સુપરદાદી કોરોના બીમારીમાંથી સાજા થયા અને આજે તેને શહેરનાં આઇસોલેશન સેન્ટરમાંથી રજા આપવામાં આવી છે.’

પ્રપૌત્ર સાથે મોજમસ્તી કરતાં આ પરદાદીને ઉંમરના સીમાડા નડતા નથી. રોટલો, છાશ ને મરચાં એ જ એમનો પ્રિયમાં પ્રિય ખોરાક. આટલી ઉંમરે પણ નથી તેમને ચશ્માં કે નથી કાનમાં મશીન. તેમને નિત્યકામ માટે પણ કોઈની મદદ લેવી પડતી નથી. એમની તંદુરસ્તી એવી કે લિફ્ટ બંધ હોય તો દોડીને પાંચ માળ ઉતરી જાય.પહેલેથી જ એમણે એટલી કાળજી રાખી છે કે આટલી ઉંમરે પણ શરીરમાં એક રોગ નહીં.

આવા રમતિયાળ, હસમુખાં, જોતાં જ ગમી જાય એવાં મળતાવડાં મારાં રળિયાત બાનો રીપોર્ટ 15મી એપ્રિલે પોઝિટિવ આવ્યો ત્યારે અમે ઘરના બધા જ સભ્યો હતાશ થઈ ગયા. ઘરે જ એમની સારવાર ચાલુ કરી પણ ત્રીજા દિવસે તેમને ઓક્સિજન લેવલ ઓછું થતાં ઉત્રાણ સ્થિત લાઇફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ આઇસોલેશન સેન્ટર પર એમને દાખલ કર્યાં. ડો. નંદલાલભાઈ પટેલ અને ડો. શૈલેષભાઈ ભાયાણીનાં માર્ગદર્શન હેઠળ એમની સારવાર શરૂ થઈ, યુવાનોને પણ શરમાવે એવો જુસ્સો ધરાવનાર રળિયાત બા એ ત્યાં છ દિવસના આરામ બાદ આઇસોલેશન સેન્ટર પર ચાલવા ઘોડી મંગાવી. સ્વયંસેવકોએ બાનો હાથ પકડયો તો એમણે કહ્યું, હું જાતે ઉભી થઈશ. બા જાતે જ જ્યાં ભજન ચાલતાં હતાં ત્યાં ગયાં અને પોતાની ભક્તિમાં લીન થઈ ગયાં. બાની એ ભક્તિનાં જ ફળ સ્વરૂપ આજે 10માં દિવસ બાદ હવે એમનો રીપોર્ટ નેગેટિવ આવતા એમને રજા આપવામાં આવી છે.’

રળિયાત બાનાં નિરોગી સ્વાસ્થ્ય માટે તેમણે કરેલો પરિશ્રમ અને ભક્તિનો નિત્યક્રમ મુખ્ય છે. કોરોનાકાળમાં પોઝિટિવનો રીપોર્ટ આવતાં જ અમુક લોકો જાણે હવે જિંદગીથી જ હાથ ધોઈ બેઠા હોય એમ વર્તે છે ત્યારે 104 વર્ષનાં રળિયાતબા એ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો