રાજકોટમાં ધોરે દિવસે જવેલર્સ માલિકની બંદૂકની અણીએ રૂ.1 કરોડના દાગીનાની લૂંટ: સમગ્ર ઘટના cctv માં કેદ

શહેરના ચંપકનગર મેઇન રોડ પરનો બનાવ, ત્રણ હિન્દી ભાષી શખ્સોએ લમણે બંદૂક તાકી, લૂંટ ચલાવી જવેલર્સના માલિકને તિજોરીમાં પુરી દીધા, તેમના પત્ની ચા આપવા ગયા ત્યારે સમગ્ર ઘટના બહાર આવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-04-2021

(હિતેન સોની દ્વારા) રાજેક્ટ શહેરના પેડક રોડ નજીક ચંપકનગર મેઈન રોડ, શેરી નં.3માં આવેલી શિવ જવેલર્સ નામની દુકાનમાં આજે ભર બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ લૂંટની ઘટના બની હતી. જવેલર્સમાં બંદૂકની અણીએ રૂ.1 કરોડના દાગીના લૂંટી ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

શિવ જવેલર્સના માલિક મોહનભાઈ ડોડિયાએ જણાવ્યા મુજબ તેઓ બપોરે પોતાના જવેલર્સમાં હતા ત્યારે ત્રણ શખ્સો આવ્યા હતા અને ચાંદીની વીંટી બતાવવા કહ્યું હતું ત્રણેય શખ્સ હિન્દીમાં વાત કરતા હતા. તેઓ વીંટી કાઢવા માટે ગયા ત્યાં જ બે શખ્સોએ બંદૂક કાઢી જે કંઈ માલ-મતા છે તે આપી દેવા કહ્યું અને એક શખ્સે ડરાવવા માટે ફાયરિંગ કરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ બંદૂકમાં ગોળી અટવાય જતા ફાયરિંગ થયું નહોતું. આરોપીઓએ તમામ દાગીના ભેગા કરી લીધા અને પછી મોહનભાઈને દુકાનમાં જ આવેલી તિજોરીમાં પુરી દીધા અને ફરાર થઈ ગયા હતા.

આરોપી ભાગી છૂટ્યા બાદ મોહનભાઈનું ઘર તેમની દુકાન સામે જ હોવાથી તેમના પત્ની ચા લઈ દુકાને આવ્યા ત્યારે તેમને જાણ થઈ કે મોહનભાઈ તિજોરીમાં છે તેથી આસપાસના લોકોને બોલાવી મોહનભાઈને બહાર કાઢવામાં આવ્યા અને પોલીસને જાણ કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવિણ કુમાર, એસીપી ટંડેલ, બી.ડિવિઝન પીઆઇ ઔશુરા, એ.ડિવિઝન પીઆઇ સી.જી. જોશી, ક્રાઈમ બ્રાન્ચની ટીમો દોડી ગઈ હતી. ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસ કામે લાગી છે. તેમજ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. જવેલર્સના માલિક મોહનભાઈના જણાવ્યા મુજબ અંદાજે એકાદ કરોડના દાગીના લૂંટમાં ગયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો