ખાસ શ્રેણીને છોડીને ઔદ્યોગિક ઓક્સિજન સપ્લાય બંધ કરવાના કેન્દ્રના આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-04-2021

દેશમાં ફરી વળેલી કોરોના લહેરની બીજી લહેર ભારે કહેર વર્તાવ્યો છે. જેના લીધે દેશભરમાં કોરોના સંક્રમણના નવા કેસ અને સંક્રમિત દર્દીઓનો મૃત્યુઆંક વધી રહ્યો છે. એવામાં મોટાભાગના પ્રભાવિત રાજ્યોમાં વધતા કેસ વચ્ચે ઓક્સિજનના પૂરવઠાને લઇને મોટી સમસ્યાઓ સામે આવી રહી છે.

કોરોના સંક્રમણની સારવાર દરમિયાન જ્યાં ઓક્સિજનની જરુર મહત્વની છે, ત્યાં અનેક રાજ્યો ઓક્સિજનની અછતની બૂમો પાડી રહ્યા છે. સ્થિતિ એ હદ સુધી વણસી ચૂકી છે કે ઓક્સિજનના અભાવે કોરોનાથી સંક્રમિત દર્દીઓ દમ તોડી રહ્યા છે. એવામાં ઓક્સિજનના પૂરતા પૂરવઠાને લઇને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લેતાં ઔદ્યોગિક ઓક્સિજન સપ્લાય પર રોક લગાવી દીધી છે. જોકે કેટલીક ખાસ શ્રેણીઓને ઓક્સિજન માટે છૂટ આપવામાં આવી છે, એ સિવાય મોટાભાગના ઉદ્યોગો માટે ઓક્સિજન સપ્લાય હાલ પૂરતો બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી મેડિકલ ઓક્સિજનની અછતને પૂરી કરી શકાય.

ગૃહ મંત્રાલયે દેશના કેટલાક રાજ્યોમાં ઉભી થયેલી ઓક્સિજન અછતને પહોંચી વળવા માટે આ નિર્ણય લીધો છે. આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મેડિકલ ઓક્સિજનની અવર-જવર પર કોઇ પ્રકારની રોકટોક ન થવી જોઇએ. જેથી જરુરી પૂરવઠો સમયસર દર્દીઓ સુધી પહોંછી શકે.

મંત્રાલયે તેના આદેશમાં ખાસ સૂચના આપી હતી કે, મેડિકલ ઓક્સિજનની આંતરરાજ્યોમાં અવર-જવર પર કોઇ રોકટોક ઉભી ન થવી જોઇએ. આ સિવાય ઓક્સિજનના ઉત્પાદકો કે સપ્લાયર્સ પર કોઇ પ્રતિબંધ લાદવામાં ન આવે તે તેઓ ઓક્સિજનનો સપ્લાય જ-તે રાજ્યમાં જ કરી શકે જ્યાં તેઓના પ્લાન્ટ છે.

હાલની પરિસ્થિતિ મુજબ શહેરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અત્યંત ચિંતાજનક રીતે વધી વકરી રહી છે. એવામાં ઓક્સિજન સપ્લાયને લઇને કેન્દ્રનો ખાસ આદેશ છે કે શહેરોમાં મેડિકલ ઓક્સિજનવાળા વાહનો કોઇપણ પ્રતિબંધ વગર ચાલવા જોઇએ. જેથી ઓક્સિજનની અછતવાળા દવાખાના કે કોવિડ સેન્ટર્સ પર ઓક્સિજન સપ્લાય સમયસર થાય અને વધતાં મૃત્યદર પર એકહદે કાબૂ મેળવી શકાય.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો