શું ઘરમાં જ ઓક્સિજન સિલિન્ડર લઈને રાખી શકાય?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

કોરોના સંક્રમણના કારણે દેશમાં સ્થિતિ ખુબ જ ખરાબ થઈ રહી છે. સંક્રમિતોને હોસ્પિટલમાં બેડ મળવામાં પણ મુશ્કેલી જણાઈ રહી છે. તેવામાં મુંબઈ અને અમદાવાદ સહિતના મોટા શહેરોમાં હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિંડરની તંગી પડી રહી છે. તો બીજી તરફ હોસ્પિટલોમાં બેડ પણ ઓછા હોવાથી હવે દર્દીના ઘરમાં જો અલગથી રુમ હોય તો ઘરે જ ICUની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. પરંતુ તેના માટે ખૂબ મોટો ચાર્જ વસૂલવામાં આવે છે. હવે એક પ્રશ્ન એવો પણ ઉઠ્યો છે કે શું જેમ ઘરમાં ઇમર્જન્સી માટે આગ ઓલવવા ફાયર સિલિંડર રાખવામાં આવે છે તેમ લોકો ઘરમાં જો કોઈને કોરોના થાય અને ઓક્સિજન આપવાની જરુર પડે તો શું ઘરમાં જ ઓક્સિજન સિલિંડર રાખીને તેની મદદ દ્વારા વ્યક્તિનો જીવ બચાવી શકાય કે નહીં. મનમાં આવા ઉઠતા જૂદા જુદા પ્રશ્નોના જવાબ મેળવવા માટે અમે ડોક્ટરો સાથે વાત કરી.

1 કેટલું મદદગાર છે ઓક્સિજન સિલિંડર ઘરમાં રાખવું?: સીએમઓ ડો.એન.કે. ગુપ્તા કહે છે કે કટોકટીની સ્થિતિમાં કોરોના દર્દી માટે ઘરમાં રાખેલ ઓક્સિજન સિલિન્ડર જીવનદાયક સાબિત થઈ શકે છે. ઓક્સિજનનો અચાનક અભાવ થઈ જાય ત્યારે ઘણી વખત હોસ્પિટલ સુધી પહોંચવામાં વિલંબ થાય છે, તેવામાં આ સિલિંડર કામ લાગી શકે છે. જોકે એક બાબતનું ધ્યાનમાં રાખવું જોઈએ. ઘરે ઓક્સિજન સિલિન્ડર લગાવ્યા પછી સારું લાગતું હોવા છતા દર્દીએ ડોક્ટરની મુલાકાત જરુર લેવી જોઈએ. જો કોઈ પણ પ્રકારની જરૂરિયાત ન લાગે તો ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ ન કરવો જોઇએ.

2. કેવી રીતે લગાવવું, પહેલા તેના અંગે જાણકારી મેળવી લો: એમએમજી હોસ્પિટલના સિનિયર ફિઝિશિયન ડો.આર.પી.સિંઘ કહે છે કે આ કોરોના સમયગાળામાં જો દર્દીનું ઓક્સિજનનું સ્તર ઓછું થઈ જાય છે તો પછી ઘરમાં રાખેલ ઓક્સિજન સિલિન્ડર મદદગાર થશે, પરંતુ ઓક્સિજન સિલિન્ડર યોગ્ય રીતે લગાવતા આવડવું જોઈએ. જો શરીરમાં ઓક્સિજનનું સ્તર ઓછું હોય, તો તાત્કાલિક ઓક્સિજન મળવાથી દર્દી સાથે કોઈ પણ પ્રકારના અકસ્માતની સંભાવના ઓછી થાય છે.

3. ઓક્સિજન સિલિન્ડર સિવાય શું છે વિકલ્પ?: સિલિન્ડરના વિકલ્પ તરીકે ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન પણ ખૂબ અસરકારક છે. તેને ઘરમાં રાખવું પણ સરળ છે. તે વાતાવરણમાંથી ઓક્સિજન લઈને દર્દીમાં ઓક્સિજનની યોગ્ય માત્રાને જાળવી રાખે છે, પરંતુ ઓક્સિજન સિલન્ડરની સરખામણીએ આ મશીનની કિંમત વધુ હોય છે. તેની કિંમત 40 થી 50 હજાર રૂપિયા છે.

4. ક્યું સિલિન્ડર ખરીદવું છે કારગર?: શ્વાસ લેવામાં પડતી તકલીફોમાં તાત્કાલિક રાહત માટે ઓક્સિજનની જરૂર હોય છે. આવી સ્થિતિમાં પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડર ઘરે રાખી શકાય છે. આ સિલિન્ડર સાથે માસ્ક પણ આવે છે. જોકે આ માસ્ક અલગથી પણ ખરીદી શકાય છે. જ્યારે દર્દીની હાલત નાજુક હોય ત્યારે આ પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડર જીવ બચાવે છે. જો સ્થિતિ વધુ વણસી જાય તો દર્દીને આનો ઉપયોગ કરીને હોસ્પિટલ સુધી ઓક્સિજન સપ્લાય સાથે લઈ જઇ શકાય છે.

5. બજારમાં શું છે તેની કિંમત? આ સિલિન્ડર ઓનલાઇન અને ઓફલાઇન માર્કેટમાં ઉપલબ્ધ છે. 75 લિટર સિલિન્ડરની કિંમત આશરે 5 હજાર રૂપિયા છે. કોમ્પ્રેસ કરીને સિલિન્ડરમાં ઓક્સિજન રાખવામાં આવે છે, જેનાથી તે ખૂબ જ નાની બોટલમાં આવે છે. તેનું વજન ફક્ત 700 ગ્રામ જેટલું હોય છે.

6. માર્કેટમાં કેમ હાલ પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરની અછત છે?: પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરનારા કહે છે કે હાલમાં આવા સિલિન્ડરોની ઉપલબ્ધતા ઓછી છે, તેથી જરૂરિયાત મુજબ સપ્લાય કરવું મુશ્કેલ છે. મોટાભાગે પોર્ટેબલ ઓક્સિજન સિલિંડરની સપ્લાય ગુજરાતમાંથી આવે છે. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં કોરોના દર્દીની સારવાર માટે હોસ્પિટલોમાં આ બાટલાની સપ્લાયથી હાલ માર્કેટમાં તેની સપ્લાય ઓછી થઈ રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો