રસીનો સ્ટોક તળિયાઝાટક: ‘ઉત્સવ’ કેમ મનાવવો?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-04-2021

કોરોનાના કહેરને કાબૂમાં લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં તા.11થી 14 રસી ઉત્સવની અપીલ કરી હતી, જોકે ગુજરાત રાજ્યમાં સ્થિતિ એવી છે કે રસીના ડોઝ માત્ર 6 દિવસ ચાલે એટલા જ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એગ્રેસિવ વેક્સિનેશન થતું હતું, જેમાં બે દિવસથી ઘટાડો આવ્યો છે. હવે માત્ર 20 લાખ ડોઝ જેટલો જ વેક્સિનનો સ્ટોક છે. ગુજરાતમાં રસીકરણના આંકડા જોવામાં આવે તો કેન્દ્ર દ્વારા ગુજરાતને 1,05,19,330 ડોઝ અપાયા હતા, જેમાં 84,65,490 ડોઝનો ઉપયોગ થયો છે અને સરકારના સ્ટોકમાં હાલ 20,53,340 ડોઝ છે. ગુજરાતમાં રોજના 3,49,645 લોકોને વેક્સિન આપવામાં આવે છે. એ જોતાં આ જથ્થો લગભગ 6 દિવસ સુધી ચાલશે. ગુજરાતમાં વેક્સિનેશન વધારવાની સાથે રસીનો જથ્થો પણ જરૂરી હોવાથી ગુજરાત સરકારને કેન્દ્ર પાસેથી વધુ 15 લાખ રસીના ડોઝ મળવાના હોવાનું આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું અને આ 15 લાખ ડોઝ બુધવાર સુધીમાં ગુજરાતને મળી જશે, જેથી ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાય તેવું નથી, કેમ કે હાલનો રસીનો જથ્થો વપરાશે ત્યાં સુધીમાં નવા ડોઝ આવી જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો