ગુજરાતમાં આવતીકાલથી પાનના ગલ્લાઓ એક મહિનો દર શનિ-રવિ રહેશે સ્વયંભૂ બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-04-2021

રાજ્યમાં વકરતી જતી કોરોનાની સ્થિતિને જોતાં ગુજરાત પાન-મસાલા ઓનર્સ એસોસિએશન દ્વારા 10 એપ્રિલથી એક મહિના સુધી દર શનિ-રવિ પાનના ગલ્લા સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે. રાજ્યમાં સ્થિતિ દિવસેને દિવસે વધુ વિકટ બની રહી છે. એક પછી એક શહેરો અને ગામો સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી રહ્યા છે. ઘણા શહેરો અને ગામોના વેપારીઓએ પણ શનિ-રવિ સ્વયંભૂ બંધ પાડવાની જાહેરાત કરી છે, ત્યારે હવે પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશને પણ રાજ્યમાં આગામી એક મહિનો દર શનિ-રવિ પાનના ગલ્લા સ્વયંભૂ બંધ રાખવાની જાહેરાત કરી છે.

ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, આગામી એક મહિના સુધી સમગ્ર રાજ્યના દરેક પાનના ગલ્લાના માલિકો દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે. આ જાહેરાત થતાની સાથે જ પાન-મસાલા અને સિગારેટના વ્યસનીઓને બે દિવસનો સ્ટોક કરવા દોડાદોડી કરી દીધી હતી.

જણાવી દઈએ કે, ગત લોકડાઉનમાં પાન-મસાલા અને સિગારેટના ભાવ આસમાને પહોંચી ગયા હતા. લોકડાઉનનો લાભ લઈ જેમની પાસે સ્ટોક હતો તે લોકો મનફાવે તેમ ભાવ લેતા હતા. પાંચ-દસ રૂપિયામાં મળતી વસ્તુઓના ભાવ 50-100 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. આ વખતે જોકે, શનિ-રવિ બે દિવસ જ પાનના ગલ્લા બંધ રહેવાના છે, પરંતુ વ્યસનીઓને ભાવ વધારો થવાના ભયે અત્યારથી જ સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિને જોતાં ત્યાં 7 દિવસ માટે લારી-ગલ્લા બંધ રાખવાનો તંત્રએ મૌખિક આદેશ આપી દીધો છે. આ ઉપરાંત રાજકોટમાં તો શનિ-રવિ પાનના ગલ્લા સ્વૈચ્છિક બંધ રાખવાનો રાજકોટ પાન એસોસિએશને પહેલા જ નિર્ણય લઈ લીધો હતો.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણની ચેન તોડવા માટે અનેક શહેરોમાં વેપારી સહિત અનેક સંગઠનો જાતે જ આગળ આવ્યા છે અને સ્વયંભૂ બંધની જાહેરાત કરી છે. જેમાં મહેસાણા, સિદ્ધપુર, ઊંઝા, ભિલોડા, રાજકોટ, મહિસાગર, સુરત સહિતના અનેક શહેરોમાં શનિ-રવિ સ્વયંભૂ બંધની જાહેરાતો કરવામાં આવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો