મોરબીના અમુક વેપારીઓ કાલથી સ્વૈચ્છિક બંધ પાળશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-04-2021

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ વધી ચુકયું છે ખાનગી અને સિવિલમાં બેડ ખૂટી પડતા દર્દીઓને રાજકોટ ખસેડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે બિનજરૂરી ભીડ ન થાય તે જરૂરી બન્યું છે. જેથી મોરબીના અલગ અલગ વેપારી એસોશિએશન દ્વારા સોમવારથી સ્વૈચ્છિક બપોર બાદ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણયમાં અનાજ કરીયાણાના જથ્થાબંધ વેપારીઓનું એસોસિએશન ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસો.તેમજ ખાદ્ય તેલનું જથ્થાબંધ વેચાણ કરતા વેપારીઓ મળી કુલ 125 થી 150 જેટલા વેપારીઓ જોડાશે. જો કે આ બંધમાં હજુ છૂટક વેપારીઓના જોડાશે કે નહીં જોડાય તે અંગે કોઈ નિર્ણય આવ્યો નથી.

આ ઉપરાંત મોરબીમાં પ્લાયવુડ-હાર્ડવેરની દુકાનોએ પણ સોમવારથી બપોરના 2 પછી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેઓએ સતાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે મોરબી મોરબીમાં કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા અને ભીડ ભેગી થતી અટકાવી કોરોનાનું જોખમ અટકાવવા માટે તા.5 એપ્રિલને સોમવારથી 11 એપ્રિલ સુધી બપોરના 2 પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મોરબી પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશને તમામ વેપારીઓને સોમવારે બપોર પછી દુકાનો બંધ રાખવાની અપીલ કરી છે.

બપોરે 2 વાગ્યા બાદ એક સપ્તાહ દુકાનો બંધ રખાશે: મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે આ પરિસ્થિતિ જોતા સાવચેતી જ સલામતી છે જેથી જથ્થા બંધ વેચાણ કરતા ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એશો.તેમજ તેલ વેપારીઓ એક સપ્તાહ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. જો એક સપ્તાહ બાદ સ્થિતિ કાબુમાં આવશે તો ફરી રાબેતા મુજબ શરૂ થઈ જશે તેમ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એશો.ના પ્રમુખ ઉમેશભાઈ કચોરીયાએ જણાવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો