ટ્રેનમાં રાત્રે મુસાફરી કરવાના છો? તો મોબાઈલની બેટરી ફુલ ચાર્જ કરીને જજો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-03-2021

ભારતીય રેલવેએ પોતાના નિયમમાં એક મોટો ફેરફાર કર્યો છે. જે મુજબ હવે રાતના સમયે ટ્રેનમાં તમે તમારો મોબાઈલ કે લેપટોપ ચાર્જ નહીં કરી શકો. રેલવેના આ નિર્ણયથી હજારો મુસાફરો પ્રભાવિત થશે.

ભારતીય રેલવેએ પોતાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે મુસાફરો રાતના સમયે પોતાનો મોબાઈલ કે લેપટોપ ટ્રેનમાં ચાર્જ નહીં કરી શકે. ભારતીય રેલવેના આ નિર્ણયથી હજારો મુસાફરો પ્રભાવિત થશે. બેંગલુરુ મિરર મુજબ, રેલવેએ આ નિર્ણય ટ્રેનમાં આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં લઈને લીધો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

પશ્ચિમ રેલવેના પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુરે કહ્યું કે, રેલવેએ આ મોટો નિર્ણય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને જ કર્યો છે. આ નિર્ણય અંતર્ગત રાત્રે 11થી સવારે 5 સુધી ચાર્જિંગ પોઈન્ટ સ્વિચ ઓફ રહેશે અને આ દરમિયાન મુસાફરો તેનો ઉપયોગ નહીં કરી શકે.

ટ્રેનના બધા કોચોમાં ચાર્જર પોઈન્ટને જોડતી બધી સ્વિચ એક સાથે બંધ કરી દેવાશે. તેની પાછળનો તર્ક એ છે કે રાત્રે મોટાભાગે મુસાફરો બેદરકાર રહી પોતાનો મોબાઈલ ચાર્જિંગ પર મૂકીને સૂઈ જાય છે. એવામાં ઓવર ચાર્જ થવાથી મોબાઈલ બ્લાસ્ટ થવાનો ખતરો રહે છે. સાથે જ આ દરમિયાન મોબઈલ ચોરી થવાનો ખતરો પણ રહે છે.

આ મહિને 13 માર્ચે દિલ્હી-દેહરાદૂન શતાબ્ધી એક્સપ્રેસમાં આગ લાગી ગઈ હતી. આ આગ એક કોચથી શરૂ થઈ અને જોત-જોતામાં 7 કોચ સુધી ફેલાઈ ગઈ. સારી વાત એ રહી કે, આગના કારણે કોઈ મુસાફરને નુકસાન થયું ન હતું અને બધાને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા, પરંતુ આ ઘટનાએ રેલવેને સાવચેત કરી દીધું છે, તે પછી હવે રેલવે કડક વલણ અપનાવી રહ્યું છે.

રેલવે તરફથી એવો પણ નિર્ણય લેવાયો છે કે, ટ્રેનમાં ધૂમ્રપાન સામેના કાયદા વધુ કડક બનાવવામાં આવે. અત્યાર સુધી ધૂમ્રપાન કરનારાઓ પાસેથી કલમ 167 અંતર્ગત માત્ર 100 રૂપિયા દંડ લેવાતો હતો, જેને હવે વધારવાની યોજના છે. એટલું જ નહીં, દંડની સાથે-સાથે રેલવે સ્ટેશન પરિસર કે ટ્રેનની અંદર ધૂમ્રપાન કરનારાને જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો