ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી કર્મીઓને કોરોના થશે તો અપાશે 10 દિવસની ખાસ રજા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-03-2021

મુખ્યમંત્રી રુપાણીએ ફીક્સ પગારના કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ એમ તમામ પ્રકારના કર્મચારીઓને આવરી લેતાં નિર્ણયની જાહેરાત કરી

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને રુપાણી સરકારે સરકારી કર્મચારીઓ, ફીક્સ પગારના કર્મચારીઓ તેમજ કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ જો કોઇ સરકારી કર્મચારી કે ફીક્સ પગાર ધોરણે કાર્યરત કર્મચારી અને કરાર આધારિત કર્મચારી કોરોના સંક્રમણનો શિકાર બને છે તો તેઓને 10 દિવસ રજા આપવામાં આવશે.

રાજ્યભરમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રુપાણીએ એવો પણ નિર્ણય લીધો છે કે જો કોઇ સરકારી કર્મચારીની રજા જમા નહિ હોય અને તે કોરોનાથી સંક્રમિત થાય છે તો તેને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ખાસ નિયમ હેઠળ રજા આપવામાં આવશે. રુપાણી સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયમા મહત્વનું પાંસુ એ છે કે કોરોનાથી સંક્રમિત કોઇપણ પ્રકારના કર્માચારીને 10 દિવસની રજા ફિકસ પગાર ધોરણે આપવામાં આવશે. એટલે કે રજા જમા નહીં હોય તો પણ સરકારી કર્મચારી, ફીક્સ પગાર ધોરણના કર્મચારી અને કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથેની રજાઓ મળી શકશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર જ્યાં દેશભરમાં કહેર વર્તાવી રહી છે ત્યાં રાજ્ય સરકાર દ્વારા તેના તમામ કર્મચારીઓને લઇને રાહત આપતો સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્ય ચાર મહાનગરો પૈકી અમદાવાદ અને સુરતમાં સ્થિતિ કફોડી બની ચૂકી છે. આ સિવાય પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. એવામાં જાહેર જનતાના સ્વાસ્થને લઇને વિચારી રહેલી રુપાણી સરકારે તેના કર્મચારીઓના સ્વાસ્થ અને આર્થિક સ્થિતિને લઇને મહત્વની જાહેરાત કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો