1લી એપ્રિલ પછી 45થી વધુ ઉંમરના તમામને રસી અપાશે, સરકારનું એલાન

સરકારે 45થી વધુ ઉંમરના તમામને રસી માટે તાત્કાલિક રજિસ્ટ્રેશન કરવા અપીલ કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-03-2021

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ભારે કહેર વર્તાવી રહી છે. દૈનિક સ્તરે સામે આવી રહેલા કેસોમાં સતત વધારો દેશ માટે મોટો ખતરો બની ગયો છે. એવામાં કેન્દ્ર સરકારે ચાલી રહેલા રસીકરણ અભિયાનને અસરકારક રીતે વિસ્તારવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જ મોદી કેબિનેટે દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને વિસ્તારવાનો નિર્ણય લેતાં તેના ત્રીજા તબક્કા હેઠળ પહેલી એપ્રિલ પછી દેશમાં 45થી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને વેક્સીન લગાવવવા મંજૂરી આપી દીધી છે. જેમાં હવેથી વેક્સીન લેનાર વ્યક્તિએ અન્ય બીમારીના સર્ટિફિકેટ આપવાની જરુર રહેશે નહીં. સરકારે કોરોના રસી માટે બીમારીના સર્ટિફિકેટની શરતને હટાવી લીધી છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, રસી લેવા માટે 45થી વધુ ઉંમરના લોકોએ ડોક્ટરનું સર્ટિફિકેટ લાવવાની જરુર રહેશે નહીં. 45થી ઉપર ઉંમર છે તો રસી મળી જશે. તેમણે અપીલ કરી હતી કે કોરોના વેક્સીન માટે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો તાત્કાલિક ધોરણ રજિસ્ટર કરાવી વેક્સીન ડોઝ મેળવી લેવાની પ્રક્રિયામાં સામેલ થાય. આ સિવાય તેમણે કોરોનાની અન્ય રસીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દેશમાં કેટલીક કોરોના વેક્સીન ટ્રાયલ ફેજમાં છે અને ટૂંક સમયમાં તેમને મંજૂરી મળી શકે છે.

કેન્દ્રના જણાવ્યા મુજબ દેશવ્યાપી રસીકરણના બીજા તબક્કામાં 60થી વધુ ઉંમરના લોકોને આવરી લેવાની સાથે સાથે 45થી વધુ ઉંમર ધરાવતા અન્ય બીમારીઓથી પીડિત લોકોનું વેક્સીનેશન પણ કરવામાં આવી રહ્યુ છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની માહિતી એક પત્રકાર પરિષદને સંબોધતા આપી હતી. રસીકરણ અભિયાનની માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 4 કરોડથી વધુ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે 80 લાખથી વધુ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવાયો છે. તેમના જણાવ્યા મુજબ વિતેલા 24 કલાકમાં દેશભરમાં 32 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં તબક્કાવાર લોકોને વેક્સીન આપવાનો નિર્ણય લીધો હતો.

કેન્દ્રિય મંત્રીએ મોદી કેબિનેટના નિર્ણય વિશે જાણકારી આપતાં કહ્યું કે, કોરોના વેક્સીન તમામ દેશવાસીએ લગાવવાની જરુર છે અને રસીને યોગ્ય તમામ રસીકરણ નોંધણી કરાવે. પ્રકાશ જાવડેકરનું કહેવું હતું કે કોરોના વિરુદ્ધ લડાઇમાં વેક્સીન સૌથી અસરકારક કવચ છે. આ સિવાય તેમણે ઓછામાં ઓછા દોઢ વર્ષ માટે માસ્કનો ઉપયોગ કરવાની જરુરત પર જોર આપ્યું હતું.

દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનને લઇને તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે દેશમાં કોરોના રસીનો પૂરતા પ્રમાણમાં જથ્થો હાજર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો