ગુજરાતમાં છ મનપામાં ભાજપની જીતને પીએમ મોદીએ જણાવી ખાસ, માન્યો જનતાનો આભાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-02-2021

રાજ્યમાં 6 મહાનગરપાલિકાઓમાં ભાજપની જીતને ખાસ જણાવતા પીએમ મોદીએ વિકાસ અને ગુડ ગવર્નન્સમાં લોકોને વિશ્વાસ હોવાનું જાણાવ્યું અને ભાજપમાં ફરી એકવખત વિશ્વાસ મુકવા બદલ જનતાનો આભાર માન્યો.

ગુજરાતમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ભાજપે તમામ 6 મહાનગરપાલિકાઓ પર કબજો કરી ગુજરાત પોતાનો ગઢ હોવાનું ફરી સાબિત કરી દીધું છે. ભાજપે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને વડોદરા કોર્પોરેશન પર મોટી બહુમતીથી જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, ‘રાજ્યની કોર્પોરેશનના પરિણામો સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, લોકોને વિકાસ અને ગુડ ગવર્નન્સમાં વિશ્વાસ છે. ભાજપમાં ફરી એકવખત વિશ્વાસ મૂક્યો એ બદલ આભારી છીએ. ગુજરાતની સેવા કરવી તે ગર્વની વાત છે.’

પીએમ મોદીએ બીજી ટ્વીટમાં બીજા ટ્વીટમાં ગુજરાત ભાજપના કાર્યકર્તાનો આભાર માન્યો છે. તેમણે કહ્યુ કે, કાર્યકર્તાઓ રાજ્યમાં પાર્ટીના વિઝનનો પ્રચાર-પ્રસાર કરે છે. જીતમાં કાર્યકર્તાઓનો પણ મોટો ફાળો છે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત પર જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. શાહે ટ્વીટ કરી કહ્યુ, ‘મહાનગરોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક પર વિશ્વાસ મુકવા બદલ ગુજરાતની જનતાનો દિલથી આભાર.’

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ છ મહાનગરપાલિકામાં ભાજપની જીત પર ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. નડ્ડાએ કહ્યુ કે, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામ પર જનતાને અતૂટ વિશ્વાસ છે. તેમણે આ જીત માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પાર્ટી અધ્યક્ષ પાટીલને પણ અભિનંદન આપ્યા હતા.

જણાવી દઈએ કે, ગુજરાતમાં છ મહાનગરપાલિકામાં ભાજપની જીત પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના જલવંત દેખાવને વધાવ્યો હતો. તેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઈન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય તેવો અભ્યાસ કરવા માટેનો વિષય બનાવીને આપ્યો છે.

ચૂંટણીમાં પરિશ્રમ કરનારા ભાજપના કાર્યકર્તાઓનો આભાર માનતા રુપાણીએ જનતાને ખાતરી આપતા જણાવ્યું હતું કે, ભાજપમાં મૂકેલા વિશ્વાસને પક્ષ એળે નહીં જવા દે. આવનારા દિવસોમાં છ મહાનગરપાલિકાઓના વિકાસ માટે પણ સરકાર કોઈ કચાશ નહીં રાખે. તેમણે એમ પણ કહ્યું હતું કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતને ભવ્ય વિજય અપાવી જનતાએ ગુજરાત ભાજપનો ગઢ છે તે ફરી વખત સાબિત કર્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો