જીતેલા કોર્પોરેટરોને પાટીલે સાનમાં કરી ટકોર, ‘માપમાં રહેજો, પાર્ટીની તાકાત પર જીત્યા છો’

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-02-2021

આપણી કોઈ કમજોર કડી હશે એના પર અત્યાર થી જ કામે લાગવું જોઈએ. પાર્લામેન્ટ્રી બોર્ડમાં કેટલાક કડક નિર્ણય થયા જેના કારણે કેટલાક લોકોને ટિકિટ આપી શક્યા નથી

ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ દ્રારા વિજય ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વિજય ઉત્સવમાં જોડવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, સીઆર પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપ એ મેળવેલ  પ્રચંડ જીત બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ ને અભિનંદન આપ્યા હતા.

ભાજપની જીતને લઈને ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં આવી પહોંચ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સાંજે પ્રચંડ જીતની ઉજવણીનો જશ્ન મનાવવામાં આવ્યો હતો.

પ્રદિપ જાડેજા ભાજપના કાર્યાલાય ખાનપુર ખાતે વિજય ઉત્સવ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. ગુજરાતની પ્રજા અને કાર્યકર્તાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાન મંત્રી બન્યા અને અમિત શાહ ગૃહમંત્રી બન્યા ત્યારે કર્ણાવતીના કાર્યકરોને ગૌરવ થયું હતું. આજના 159 નવા ચૂંટાયેલા કોર્પોરેટરો માટે પણ આપણને ગૌરવ છે.

સીઆર પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલા 159 કોર્પોરેટરોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નિતિન પટેલ સહિતના ભાજપના દિગ્ગજોને અભિનંદન પાઠવ્યા હતા. સી આર પાટીલે જણાવ્યું હતું ગત 2015માં 142નો રેકોર્ડ તોડીને 159 પહોંચ્યા છીએ. આપણે ટાર્ગેટ સુધી પહોંચી શક્યા નથી. આપણો લક્ષ્યાંક 168 હતો. આપણી કોઈ કમજોર કડી હશે એના પર અત્યાર થી જ કામે લાગવું જોઈએ. પાર્લામેન્ટ્રી બોર્ડમાં કેટલાક કડક નિર્ણય થયા જેના કારણે કેટલાક લોકોને ટિકિટ આપી શક્યા નથી. કેટલાય અનુભવી લોકોએ તમારા માટે એક જ અવાજે જગ્યા કરી છે અને તમને જીતાડવામાં મદદ કરી છે, એટલે તેમનો આભાર માનજો.

સીઆર પાટીલે આગળ કહ્યું હતું કે આપણા કેટલાક ઉમેદવારો કેમ હાર્યા, કેટલા મતે હાર્યા એની ત્રુટીઓ શોધવી પડશે. આવતીકાલથી જ એના પર કામે લાગીશું. રાજકોટમાં 1 ટર્મ સિવાય 50 વર્ષથી ભાજપનો દબદબો છે અને અમદાવાદમાં પણ 1987 થી સતત ભાજપનો દબદબો છે. પંડિત દીનદયાળ જીના સંકલ્પને પૂર્ણ કરવા કાર્યકારો સતત કામ કરે છે. દરેક તકલીફમાં વિશ્વાસ સાથે લોકો ભાજપના કાર્યકરોને બોલાવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો