સ્થાનિક ચૂંટણી માટે ભાજપે લીધા 3 નિર્ણયો : આવા લોકોને ટિકિટ નહિ મળે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-02-2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને લઇને પ્રદેશ ભાજપ (BJP) દ્વારા કવાયત તેજ કરાઈ છે. મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ માટે સેન્સની પ્રક્રિયા બાદ સંકલન બેઠક પૂર્ણ થઈ છે. જે બાદમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

ભાજપના નિર્ણયની વાત કરવામાં આવે તો 60 વર્ષથી ઉપરની ઉંમરના નેતાઓને ટિકિટ નહીં મળે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના અનેક નેતાઓએ પોતાના પરિવારના સભ્યો માટે ટિકિટ માંગી હતી, ત્યારે પાર્લામેન્ટ્રી બોર્ડમાં નિર્ણય લેવાયો છે કે કોઈપણ નેતાના પરિવારજનોને ટિકિટ નહીં આપવામાં આવે. આ સાથે જ ભાજપે ત્રીજો નિર્ણય એવો કર્યો છે કે સતત ત્રણ ટર્મથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ચોથી વખત પાર્ટી ટિકિટ નહીં આપે.

આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સ્પષ્ટ કરી દીધું છે કે આ ત્રણ નિયમો સાથે પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ટિકિટની વહેંચણી કરશે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના આવા નિર્ણય બાદ અનેક નેતાઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. એક અંદાજ પ્રમાણે ભાજપના નવા નિયમો બાદ અનેક શહેરના વધારે સિટીંગ કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. આ એવા કોર્પોરેટરો છે જેઓ ત્રણ ટર્મથી ચૂંટાતા આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો