કોરોના અંગે કેન્દ્રની નવી ગાઈડલાઈન્સ : સિનેમા હોલમાં વધશે દર્શકો, સ્વિમિંગ પૂલ પણ ખુલશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-01-2021

ભારતમાં કોરોના વાયરસના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા હવે કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલીક છૂટછાટ વધારવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સમાં સિનેમા હોલ અને થિયેટર્સને વધારે રાહત મળી છે.

સિનેમા હોલ અને થિયેટર્સમાં 50 ટકા બેઠકની મંજૂરી અગાઉ આપવામાં આવી હતી. હવે તેમાં વધારો કરીને બેઠક ક્ષમતામાં વધારવામાં આવી છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ અને યુથ અફેર્સ મંત્રાલય દ્વારા એસઓપી જાહેર કર્યા બાદ સ્વિમિંગ પૂલ્સ પણ શરૂ થઈ શકે છે. એક્ઝિબિશન હોલ્સ પણ નવી એસઓપી પ્રમાણે ખૂલી શકે છે. હાલમાં રમતવીરો માટે સ્વિમિંગ પૂલ્સ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. હવે સ્વિમિંગ પૂલ્સ તમામ લોકો માટે ખુલશે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોવિડ-19 માટેની તમામ ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે. જેમાં લોકો ફેસ માસ્ક પહેરે, સેનિટાઈઝર્સ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત 65 વર્ષથી વધુની વયના લોકો, બીમારી ધરાવતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી નીચેના બાળકો બિનજરૂરી પ્રવૃત્તિઓ માટે પણ ઘરની બહાર જઈ શકશે પરંતુ તેમને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

પરિસ્થિતિનું આકલન કર્યા બાદ ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કર્યા બાદ સિવિલ એવિયેશન મંત્રાલય પેસેન્જર્સ માટે ઈન્ટરનેશલ ટ્રાવેલ અંગે નિર્ણય લેશે. હવે સિનેમા હોલમાં 50 ટકા ક્ષમતાનું નિયંત્રણ હટાવી લેવામાં આવ્યું છે અને ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મંત્રાલય દ્વારા નવી એસઓપી જાહેર કરવામાં આવશે અને તે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો