કોરોનાની રસી લીધાનાં 48 કલાકમાં વોર્ડ બોયનું મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-01-2021

યુપીના મુરાદાબાદ જિલ્લામાં કોરોના રસીનો ડોઝ લીધા બાદ એક વોર્ડ બોયનું ગઇકાલે અચાનક મોત થયું હતું. વોર્ડ બોય મહિપાલ સિંહ 46 વર્ષનો હતા. ડોકટરોએ કહ્યું છે કે પ્રારંભિક અહેવાલ મુજબ એવું લાગે છે કે મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સીએમઓએ કહ્યું કે શનિવારે રસી લીધા બાદ તેઓ એકદમ સ્વસ્થ હતા. તે પોતાનું કામ સારી રીતે કરી રહ્યો હતા. જોકે, વોર્ડ બોયના દીકરાએ કહ્યું છે કે રસી લીધા બાદ તેમના પિતાની તબિયત પહેલાની જેમ સામાન્ય નહોતી.

કહેવામાં આવી રહ્યું છે કે ગઇકાલે છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવારના લોકો તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા, જયાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મહિપાલસિંહ જિલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોયની પોસ્ટ પર હતા. તેમની ફરજ સર્જિકલ વોર્ડમાં હતી. તેમના પરિવારમાં પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે મહિપાલસિંહનું હોસ્પિટલમાં લાવતા પહેલાં જ મોત નીપજયું હતું. પરિવારના કહેવા પર ઘણી વખત તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહોતો. તેમને સાયલન્ટ એટેક આવ્યો હોય તેવી શકયતા છે.

મૃતકનો પુત્ર શું કરે છે? પુત્ર વિશાલે રાત્રે મીડિયાને જણાવ્યું હતું કે, સવારે ડ્યૂટીથી પરત આવ્યા બાદ અચાનક જ તેમની તબિયત લથડી હતી. મારે કોઈ કામથી બહાર જવાનું હોવાથી હું નીકળી ગયો હતો, સાંજે મને ફોન આવ્યો કે તબિયત વધુ ખરાબ છે. પરિવારે 108 પર ફોન કર્યો હતો પરંતુ તેઓ સમયસર આવ્યા ન હતા. શનિવારે રસીકરણ બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એક સવાલના જવાબમાં વિશાલે કહ્યું કે તેઓ કોરોના પોઝિટિવ પણ નહોતા.

સરકાર શું કહે છે?

સીએમઓ મુરાદાબાદ ડો.એમ.સી. ગર્ગે જણાવ્યું હતું કે, જિલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે તૈનાત મહિપાલસિંહનું રવિવારે સાંજે છ વાગ્યે અવસાન થયું હતું. રવિવારે બપોરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. શનિવારે બપોરે 12 વાગ્યે તેમને રસી આપવામાં આવી હતી. મોતનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે. કોરોના રસી અંગેની પ્રતિક્રિયા અંગે તેમણે કહ્યું કે શનિવારે રાત્રે તેમણે નાઇટ ડ્યુટી કરી હતી અને તેમને કોઈ સમસ્યા નથી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ જાણી શકાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો