16મીથી ગુજરાતમાં રસીકરણ શરુ થશે, પહેલા તબક્કાના લાભાર્થીઓને SMS આવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-01-2021

દેશભરમાં 16મી જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાનું શરુ થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં આ અંગેના સંપૂર્ણ કાર્યક્રમની માહિતી આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વેક્સિનેશન માટેના 25 હજાર જેટલા બૂથ તૈયાર કરી દેવાયા છે. જે લોકોને પહેલા તબક્કામાં રસી આપવાની છે તેમની યાદી તૈયાર થઈ ચૂકી છે, અને તેમને ક્યાં વેક્સિન લેવા જવાનું છે તેની માહિતી તેમને SMSમાં મળી જશે તેવું પણ નીતિન પટેલે કહ્યું હતું.

પ્રથમ તબક્કાના વેક્સિનેશન માટેના ડોઝ આવતીકાલ સુધીમાં આવી જાય તેવી શક્યતા છે. ભારત સરકાર દ્વારા જે કંપનીને ઓર્ડર અપાયો છે તેના તરફથી બધું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ અને ફ્રંટ લાઈન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે. 16મી જાન્યુઆરીએ પીએમ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા રસીકરણનો પ્રારંભ કરાવશે, અને સીએમ. ડે. સીએમ તેમજ અન્ય મંત્રીઓ અને નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

પહેલા તબક્કામાં સીએમ, ડે. સીએમ પણ રસી લેવાના છે કેમ તે સવાલનો જવાબ આપતા નીતિન પટેલે કહ્યું હતું કે, અમે સૌએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી કોરોના વોરિયર્સ, 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓનું રસીકરણ પૂરું ના થાય ત્યાં સુધી સીએમ, ડે. સીએમ, નેતાઓ, મંત્રીઓ, સાંસદો કે પક્ષના નેતાઓ વેક્સિન નહીં લે. આ આયોજન કોરોના વોરિયર્સ માટે છે, અને આ તબક્કામાં પક્ષ સાથે સંકળાયેલા લોકો રસી નહીં લે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રથમ ડોઝ લેનારાની ઓનલાઈન નોંધણી થશે. પહેલો ડોઝ લેનારા વ્યક્તિએ 29મા દિવસે તે જ વેક્સિનનો ડોઝ લેવાનો રહેશે અને તે જ બૂથ પર લેવાનો રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે બંને ડોઝ લેવાઈ જાય ત્યારબાદ 15 દિવસ પછી રસીની અસર થવાની શરુઆત થશે. મતલબ કે, પહેલો ડોઝ લીધાના કુલ 45 દિવસ બાદ તેની અસર થવાની શરુઆત થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વેક્સિન લેનારો વ્યક્તિ કોરોનાથી સુરક્ષિત રહેશે, તેમજ બીજાને પણ કોરોનાનો ચેપ નહીં લગાડે. રાજ્યો પોતાની રીતે વેક્સિન ના ખરીદે. તેની વ્યવસ્થા ભારત સરકાર કરશે.

વેક્સિનેશન પાછળ થનારા ખર્ચ અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાનો સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર ઉઠાવશે. પ્રથમ બે તબક્કાનું વેક્સિનેશન પૂર્ણ થયા બાદ તેના અનુભવ કેવા રહ્યા તે અંગે પીએમ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. તેમણે કહ્યું હતું કે, દેશભરમાં પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ નાગરિકોને વેક્સિનેશન અપાશે. ભારત સરકારે દેશની આબોહવા તેમજ સ્થિતિને અનુરુપ સૌથી અસરકારક વેક્સિનની ખરીદી કરી હોવાનું પણ નીતિન પટેલે કહ્યું હતું.

મહત્વનું છે કે, ગુજરાતના અલગ-અલગ શહેરો તેમજ નાના સેન્ટર્સ પર પણ વેક્સિનેશનનો ટ્રાયલ રન થઈ ચૂક્યો છે. વેક્સિનનો સંગ્રહ કરવા માટે કોલ્ડ ચેઈન પણ ઉભી કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વેક્સિન ક્યારે આવશે તે સવાલનો જવાબ આપતા નીતિન પટેલે કહ્યું હતું કે આવતીકાલ સુધીમાં વેક્સિન આવી જાય તેવી શક્યતા છે. ત્યારબાદ તેનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો