ઉત્તરાયણના નિયમો: માસ્ક પહેરી પતંગ ચગાવવા પડશે, ધાબા પર મ્યૂઝિક પણ નહીં વગાડી શકાય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-01-2021

ગુજરાતમાં ઉત્તરાયણને આરે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેના માટેની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા આ ગાઈડલાઈનને મંજૂર રાખવામાં આવી છે. ઉત્તરાયણની ગાઈડલાઈન પ્રમાણે જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર એકઠા થઈ શકાશે નહીં કે પતંગ ચગાવી શકાશે નહીં. સરકારે સલાહ આપી છે કે પરિવારજનો સાથે કોરોનાના નિયમોનું પાલન કરીને તહેવારની ઉજવણી કરવામાં આવે.

ઉત્તરાયણ માટેની સરકારની ગાઈડલાઈન આ મુજબ છે

– જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો કે રસ્તાઓ પર એકઠા થઈ શકાશે નહીં અને પતંગ ચગાવી શકાશે નહીં.

– પરિવારજનો સાથે કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરતા તહેવાર ઉજવવાની સલાહ આપવામાં આવે છે.

– માસ્ક વગર બિલ્ડિંગ કે ફ્લેટના ધાબા પર એકઠા થવાની મંજૂરી આપવામાં આવશે નહીં, આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર પણ ફરજિયાત રહેશે.

– બિલ્ડિંગના રહેવાસીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓને ફ્લેટના ધાબા અને રહેણાક સોસાયટીઓના ખુલ્લા મેદાનમાં એકઠા થવા દેવામાં આવશે નહીં, જો આનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન જવાબદાર રહેશે.

– 65 વર્ષ કરતા વધુ ઉંમરની સાથે કોમોરિબિડિટીઝ ધરાવતા તેમજ બાળકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે.

– જનતામાં અશાંતિ સર્જાય તેવું લખાણ અને સ્લોગન પતંગ પર લખવાની પરવાનગી નથી.

– ચાઈનિઝ તુક્કલ અને દોરી પર પ્રતિંબધ છે, સાથે જે દોરીમાં કાચનો ઉપયોગ કરવો નહીં, આ ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવું.

– અમદાવાદના પતંગ બજાર જેવા કે રાયપુર, ટંકશાળ, નરોડામાં ખરીદી કરવા જાઓ ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું તેમજ પોલીસને સહયોગ આપવો.

– અગાઉની ગાઈડલાઈન મુજબના કોરોનાના તમામ નિયમો પાલન કરવાનું રહેશે.

– રાજ્યના ચાર શહેરોમાં જે રાત્રિ કર્ફ્યુ લાગુ કરાયો છે તેનો અમલ કરવાનો રહેશે.

– ચોક્કસ અમલીકરણ માટે પોલીસ ગોઠવાશે, સીસીટીવીથી નજર રખાશે તેમજ ડ્રોનનો પણ ઉપયોગ કરાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો