(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 18-4, રાજ્યમાં કોરોના સંક્રમીતનો આંકડો 1272 પર પહોંચી ગયો છે ત્યારે કેટલાક કર્મચારીઓ એવા પણ છે જે ખડે પગે ઉભા રહી પોતાના જીવની પણ પરવાહ કર્યા વગર આ સંકટ સામે લડી રહ્યા છે. જે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે અને જ્યાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધુ છે તેવા વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ પર પણ જોખમ વધી રહ્યું છે. ત્યારે કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં કામ કરી રહેલા પોલીસ કર્મીઓની સુરક્ષા મહત્વની સાબીત થાય છે. રાજ્ય પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધી આ અંગે માહિતી આપી હતી કે કરફ્યુગ્રસ્ત વિસ્તારના પોલીસકર્મીઓને પીપીઇ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇકવીપમેન્ટ) શૂટ અપાશે. કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં કડક પોલીસબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને સુરક્ષાના ભાગરૂપે પીપીઇ શૂટ આપવામાં આવશે. આ સિવાય રાજ્ય આઇબી દ્વારા કર્ફ્યુ અને લોકડાઉન પર પણ નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય પોલીસ વડાએ માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં કરફ્યુ ભંગના 130 ગુનામાં 118 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સુરતમાં 64 ગુનામાં 68ની અને રાજકોટમાં 15 ગુનામાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.