(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 27-3, ભારતીય રિઝર્વ બેંકે આજે તમામ નાણાકીય સંસ્થાઓને એવી છૂટ આપી છે કે તેઓ કોરોના વાયરસ જેવી આફતની ઘડી તેમજ દેશમાં લૉકડાઉનની સ્થિતિને જોતા લોંગ ટર્મ લોનના કેસમાં ગ્રાહકોને ત્રણ મહિના જેટલી મુદત આપી શકશે. આ કેસમાં બેંકો તેમના ગ્રાહકોને ત્રણ મહિના સુધી લોનના EMI નહીં ચૂકવવાની છૂટ આપી શકે છે. આ ઉપરાંત હપ્તા નહીં ચૂકવવાની કોઈ જ અસર તેમના ક્રેડિટ સ્કોર પર નહીં પડે. રિઝર્વ બેંકના આવી છૂટ બાદ લોન અને ક્રેડિટ કાર્ડ ધારકોના મનમાં અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. જો તમને પણ કોઈ મૂંઝવણ છે તો નીચે આપેલા સવાલ-જવાબથી તમારી શંકા કે પ્રશ્નનું સમાધન મેળવી શકો છો
સવાલ : મારા EMIની મુદ્દત આગામી થોડા દિવસોમાં આવી રહી છે, તો શું બેંક હવે મારા ખાતામાંથી પૈસા નહીં કાપે?
જવાબ : રિઝર્વ બેંકે આ છૂટ ફક્ત બેંકોને આપી છે. એટલે કે તમારી બેંક આવી છૂટ તમને આપે તે જરૂરી છે. એટલે કે જો તમારી બેંક તમને આ અંગેની કોઈ છૂટ નથી આપતી તો તમારો હપ્તો નિયત સમયે કપાશે.
સવાલ : મારે EMI નથી ભરવાનો તેની જાણકારી મને કેવી રીતે મળશે?
જવાબ : આ મામલે આરબીઆઈ તરફથી વિગતવાર કોઈ જ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. બહુ ઝડપથી આરબીઆઈ આ અંગે વિગતવાર માર્ગદર્શિકા કે સ્પષ્ટતા કરી શકે છે.
સવાલ : બેંકના સ્તર પર શું પ્રક્રિયા કરવાની રહેશે?
જવાબ : હપ્તાને પાછા ઠેલવવા અંગે તમામ બેંકોએ ચર્ચા કર્યા બાદ બોર્ડ લેવલ પર મંજૂરી મેળવવી પડશે. બોર્ડ તરફથી મંજૂરી મળ્યા બાદ બેંક તેમના ગ્રાહકોને આ અંગેની જાણકારી આપશે.
સવાલ : જો મારી બેંક આવી છૂટ આપશે તો હપ્તા નહીં ભરવાની નેગેટિવ અસર મારા ક્રેડિટ સ્કોર પર પડશે?
જવાબ : ના. જો બેંક છૂટ આપશે તો તેની કોઈ જ નકારાત્મક અસર તમારા ક્રેડિટ સ્કોર પર નહીં પડે.
સવાલ : કઇ કઇ બેંકો પોતાના ગ્રાહકોને આવી છૂટ આપી શકે છે?
જવાબ : તમામ કોમર્શિયલ બેંક (રુરલ બેંકો, નાની ફાઇનાન્સિયલ બેંકો અને સ્થાનિક બેંકો સહિત), કો-ઓપરેટિવ બેંકો, ઓલ ઇન્ડિયા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ અને એનબીએફસી (હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સહિત) આવી છૂટ આપી શકે છે.
સવાલ : આને EMI માફી કે પછી EMI મોકૂફી કહેવાય?
જવાબ : આને હપ્તા માફી બિલકુલ ન કહી શકાય. આ ફક્ત તમારા હપ્તાને અમુક સમય માટે મોકૂફ રાખવા કહેવાશે. રિઝર્વ બેંકની ભલાવણ પ્રમાણે લોનનો સમયગાળો, લોનના હપ્તા ભરવાની અવધી સહિત તમામ વસ્તુઓને ત્રણ મહિના પાછળ ધકેલવામાં આવે.
સવાલ : શું દેવા મોકૂફીમાં વ્યાજ અને મુદલ બંનેનો સમાવેશ થાય છે?
જવાબ : હા. બંનેનો સમાવેશ થાય છે. જો તમારી બેંક તરફથી તમને છૂટ આપવામાં આવશે તો તમને ત્રણ મહિના સુધી તમારો આખો EMI નહીં ભરવાની છૂટ મળશે. પહેલી માર્ચ, 2020 સુધી બાકી હોય એવી તમામ લોન પર આ લાગૂ પડશે.
સવાલ : કઈ કઈ લોનને છૂટ મળશે?
જવાબ : આરબીઆઈ તરફથી ટર્મ લોનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં હોમ લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન, ઓટો તેમજ એવી કોઈ પણ લોન જેનો સમયગાળો નક્કી હોય તેનો સમાવેશ થાય છે. ટર્મ લોનમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન એટલે કે મોબાઇલ, ટીવી, ફ્રીજ વગેરે EMI પર લીધા હોય તેનો પણ સમાવેશ થાય છે.
સવાલ : શું ક્રેડિટ કાર્ડના પેમેન્ટ પર પણ આ વાત લાગૂ થશે?
જવાબ : ક્રેડિટ કાર્ડનો સમાવેશ ટર્મ લોનમાં થતો નથી. આથી તેનો સમાવેશ આરબીઆઈની જાહેરાત હેઠળ ન થઈ શકે.
સવાલ : મેં ફેક્ટરી નાખવા માટે પ્રોજેક્ટ લોન લીધી છે. તો શું હું પણ EMI ન ભરું તો ચાલે?
જવાબ : આરબીઆઈના કહેવા પ્રમાણે જે પણ લોનનો સમાવેશ ટર્મ લોનમાં થતો હોય તે તમામ ગ્રાહકોને છૂટ મળશે. જો તમારી બેંક એ વાત પર સહમત થાય છે કે તમે હપ્તા ભરી શકો તેમ નથી તો તમને ત્રણ મહિના સુધી હપ્તા નહીં ભરવાની છૂટ મળી શકે છે.