પહેલીવાર નર્મદા ડેમ 131.20 મીટરની સપાટીને પાર કરીને થયો ઓવરફ્લો, જાણો કેટલા દરવાજા ખોલાયા

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવકમાં સતત વધારો થતાં નર્મદા ડેમના 25 દરવાજા ખોલાયા, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 08-8,  અમદાવાદ: નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુરુવાર મોડી રાતે જ નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા જોકે આજે સવારે પાણીમાં આવકમાં સતત વધારો થતાં વધુ 15 દરવાજા ખોલાયા હતા જ્યારે હાલ કુલ 25 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમની હાલની સપાટી 131.20 મીટર છે. નર્મદા ડેમ ઓવર થતાં કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નવા દરવાજા બનાવ્યા બાદ નર્મદા ડેમ આજે પહેલીવાર ઓવરફ્લો થયો છે.

નોંધનીય છે કે, ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. હાલ નર્મદા ડેમમાં 6.50 લાખ ક્યૂસેક પાણી છે. ડેમના 25 દરવાજા 0.92 સેમી ખોલાયા છે અને 50,070 ક્યૂસેક પાણીની જાવક થઈ રહી છે. જેને લઈને નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપી દેવાઈ છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડવાનું નક્કી કરાયું છે. જેના કારણે કાંઠા વિસ્તારોમાં હાઈ એલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે. તકેદારીના પગલાના ભાગરૂપ 10 જેટલા ઉચ્ચ અધિકારીઓને કાંઠા વિસ્તારના 42 ગામોમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તહેનાત કરાયા છે.

રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા,ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ અપાયું. વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠા વિસ્તારમાં અવર જવર નહિ કરવા સૂચના આપી દેવાઈ. ઉલ્લેખનીય છે કે નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને 131 મીટર ભરવાની પરવાનગી આપી હતી. એ પછી ડેમ 131.20 મીટર સુધી ભરાય પછી જ પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો.

 

……………………. Advertisements ……………….